(૭) અશક્ય નથી કે નજીકમાં જ અલ્લાહ (તઆલા) તમારા અને તમારા દુશ્મનોના વચ્ચે મોહબ્બત પેદા કરી દે,[1] અલ્લાહ (તઆલા) ખૂબજ સામર્થ્યવાળો અને અલ્લાહ મોટો માફ કરવાવાળો અને દયાળું છે.
(૮) જે લોકોએ ધર્મના વિશે તમારા સાથે યુદ્ધ નથી કર્યું અને તમને દેશ નિકાલ નથી કર્યા, તેમના સાથે સારો વર્તાવ કરવા અને ઉપકાર કરવા અને ન્યાયપૂર્વક વર્તન કરવાથી અલ્લાહ તમને નથી રોક્તો, (પરંતુ) બેશક અલ્લાહ (તઆલા)તો ન્યાય કરવાવાળાઓને પસંદ કરે છે.[1]
(૯) અલ્લાહ (તઆલા) તમને ફક્ત તે લોકો સાથે મોહબ્બત કરવાથી રોકે છે, જેમણે તમારી સાથે ધર્મ સંબંધિત લડાઈ કરી અને તમને દેશમાંથી કાઢી મૂક્યા અને દેશમાંથી કાઢી મૂકનારાઓની મદદ કરી, જે લોકો આવા (કાફિરો) સાથે મોહબ્બત રાખે, બેશક તેઓ જ જાલિમ છે.
(૧૦) હે ઈમાનવાળાઓ! જ્યારે તમારા પાસે ઈમાનવાળી સ્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની કસોટી કરી લો, હકીકતમાં તેમના ઈમાનને સારી રીતે જાણવાવાળો અલ્લાહ જ છે, પરંતુ જો તે તમને ઈમાનવાળી માલુમ પડે તો તેમને કાફિરો પાસે પાછી ન મોકલો, તેઓ કાફિરો માટે હલાલ નથી અને ન કાફિરો તેમના માટે હલાલ છે, અને જે ખર્ચ કાફિરોનો થયો છે તે તેમને ચૂકવી દો, તે સ્ત્રીઓને તેમની મહેર આપીને તેમના સાથે નિકાહ કરવામાં તમારા પર કોઈ ગુનોહ નથી,[1] અને કાફિર સ્ત્રીઓના નિકાહના બંધનને પોતાના કબ્જામાં ન રાખો,[2] અને જે કંઈ તમે ખર્ચ કર્યો હોય તેને માંગી લો, અને જે કંઈ કાફિરોએ ખર્ચ કર્યો હોય તેને પણ (તેઓ) માંગી લે, આ અલ્લાહનો ફેસલો છે જે તમારા વચ્ચે કરી રહ્યો છે, અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૧૧) અને જો તમારી કોઈ પત્ની તમારા હાથમાંથી નીકળી જાય અને કાફિરોના પાસે જતી રહે, પછી જ્યારે તમને બદલાનો સમય મળી જાય તો જેમની પત્નીઓ જતી રહી છે તેમને તેમના ખર્ચના બરાબર ચૂકવી દો, અને તે અલ્લાહથી ડરતા રહો જેના પર તમે ઈમાન ધરાવો છો.
(૧૨) હે રસૂલ! જ્યારે મુસલમાન સ્ત્રીઓ તમારા પાસે એ વાત પર બૈઅત (પ્રતિજ્ઞા) કરવા આવે કે તે અલ્લાહના સાથે કોઈને પણ ભાગીદાર બનાવશે નહીં, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની સંતાનને મારી નહીં નાંખે અને ન કોઈ જૂઠો આરોપ લગાવશે જે પોતે પોતાના હાથો-પગોના સામે ઘડી લે અને કોઈ નેક કામમાં તમારી નાફરમાની નહીં કરે, તો તમે તેમનાથી બૈઅત કરી લો[1] અને તેમના માટે અલ્લાહથી માફી માંગો, બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો દયાળુ છે.
(૧૩) હે ઈમાનવાળાઓ ! તમે તે કોમ સાથે મિત્રતા ન રાખો, જેમના ઉપર અલ્લાહનો અઝાબ આવી ચૂક્યો છે,[1] જેઓ આખિરતથી એવી રીતે નિરાશ થઈ ગયા છે કે જેવી રીતે કબરમાંના કાફિરો નિરાશ છે. (ع-૨)