(૩૫) અને મુશરિકોએ કહ્યું કે, “જો અલ્લાહ (તઆલા) ચાહત તો અમે અને અમારા બાપ-દાદાઓ તેના સિવાય બીજા કોઈની બંદગી ન કરતા, ન તેના હુકમ વગર કોઈ વસ્તુને હરામ ઠેરવતા”, આવા જ બહાના તેમના પહેલાના લોકો બનાવતા રહ્યા, તો રસૂલો પર તો સ્પષ્ટ સંદેશ પહોંચાડી દેવાનું જ છે.
(૩૬) અને અમે દરેક ઉમ્મતમાં રસૂલ મોકલ્યા કે, “(લોકો!) ફક્ત અલ્લાહની બંદગી કરો અને તાગૂત (તેના સિવાય બધા જૂઠા મા'બૂદ) થી બચો”, તો કેટલાક લોકોને અલ્લાહે હિદાયત આપી અને કેટલાક પર ગુમરાહી સાબિત થઈ ગઈ, હવે તમે જાતે ધરતી પર મુસાફરી કરીને જોઈ લો કે જૂઠાડનારાઓનો અંજામ કેવો થયો.
(૩૭) જો કે તમે તેમની હિદાયતના માટે ઉત્સુક રહ્યા છો, પરંતુ અલ્લાહ (તઆલા) તેમને હિદાયત નથી આપતો જેને ભટકાવી દે, અને ન કોઈ તેમનો મદદગાર હોય છે.
(૩૮) અને આ લોકો મોટી મોટી કસમો ખાઈને કહે છે કે, “મરી ગયેલા લોકોને અલ્લાહ (તઆલા) જીવતા નહિં કરે”, કેમ નહિ ? (જરૂર જીવતા કરશે) આ તો તેનો સાચો વાયદો છે પરંતુ મોટા ભાગના લોકો નાદાની કરી રહ્યા છે.
(૩૯) એટલા માટે પણ કે આ લોકો જે વાતમાં મતભેદ કરી રહ્યા છે, તેને અલ્લાહ (તઆલા) સ્પષ્ટ વર્ણન કરી દે અને એટલા માટે પણ કે કાફિરો પોતે પોતાના જૂઠા હોવાનું જાણી લે.
(૪૦) અમે જ્યારે કોઈ વસ્તુનો ઈરાદો કરીએ છીએ તો ફક્ત અમારે એટલું જ કહી દેવાનું હોય છે કે, “થઈ જા” બસ તે થઈ જાય છે. (ع-૫)