(૨૦) અને અલ્લાહની નિશાનીઓમાંથી એ છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી હવે મનુષ્ય બનીને (ધરતીમાં) ફેલાઈ રહ્યા છો.
(૨૧) અને તેની નિશાનીઓમાંથી એ છે કે તમારી જ સહજાતિમાંથી પત્નીઓ પેદા કરી,[1] જેથી તમે તેમના પાસેથી સુખ મેળવો,[2] તેણે તમારા વચ્ચે પ્રેમ અને દયાભાવ પેદા કરી દીધા,[3] બેશક આમાં ઘણી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ ચિંતન-મનન કરે છે.
(૨૨) અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીની પેદાઈશ અને તમારી ભાષાઓ અને રંગોમાં ભિન્નતા (પણ) છે,[1] આમાં બુદ્ધિશાળી લોકોના માટે ઘણી મોટી નિશાનીઓ છે.
(૨૩) અને (બીજી પણ) તેની નિશાનીઓમાંથી તમારું રાત્રે અને દિવસે ઊંઘવું છે અને (તમારું) તેના ફઝલ (એટલે કે રોજી) ને શોધવું (પણ) છે, બેશક આમાં ઘણી નિશાનીઓ છે તેમના માટે જેઓ કાન લગાવીને સાંભળનારા છે.
(૨૪) અને તેની નિશાનીઓમાંથી એ પણ છે કે તે તમને ડરાવવા અને આશા જગાડવા માટે વીજળીનો ચમકારો દેખાડે છે, અને આકાશમાંથી પાણી વરસાવે છે, અને તેનાથી મૃત ધરતીને જીવન પ્રદાન કરે છે આમાં (પણ) બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
(૨૫) અને તેની એક નિશાની એ પણ છે કે આકાશો અને ધરતી તેના હુકમથી સ્થાપિત છે, પછી તે જયારે તમને પોકારશે, ફક્ત એક જ પોકારમાં તમે બધા ધરતીમાંથી નીકળી આવશો.
(૨૬) અને આકાશો અને ધરતીની તમામ વસ્તુઓનો માલિક તે જ છે અને બધા તેના હુકમના આધીન છે.
(૨૭) અને તે જ છે જે પ્રથમ વખત સૃષ્ટિને પેદા કરે છે, તે જ ફરીથી બીજી વખત પેદા કરશે અને આ કામ તો તેના માટે ઘણું સરળ છે. તેની જ સારી અને ઉચ્ચ વિશેષતાઓ છે[1] આકાશોમાં અને ધરતીમાં પણ, અને તે જ જબરજસ્ત હિકમતવાળો છે. (ع-૩)