(૫૪) અને જો તે દરેક મનુષ્ય જેણે જુલમ (શિર્ક) કર્યું છે તેની પાસે એટલું હોય કે સમગ્ર ધરતી ભરી દે તો પણ તેને આપીને પોતાનો જીવ બચાવવા લાગે, અને જ્યારે અઝાબને જોઈ લેશે તો મનોમન પસ્તાવો કરશે અને તેમનો ફેંસલો ન્યાયપૂર્વક થશે, અને તેમના ઉપર જુલમ થશે નહિં.
(૫૫) જાણી લો કે જેટલી વસ્તુઓ આકાશો અને ધરતી પર છે, બધા પર અલ્લાહની માલિકી છે, યાદ રાખો કે અલ્લાહનો વાયદો સાચો છે પરંતુ ઘણાખરાં લોકો જાણતા નથી.
(૫૬) તે જ જીવન આપે છે તે જ મૃત્યુ આપે છે અને તમે બધા તેના પાસે પાછા લાવવામાં આવશો.[1]
(૫૭) હે લોકો! તમારા પાસે તમારા રબ તરફથી એક એવી વસ્તુ આવી છે જે નસીહત છે,[1] અને દિલોમાં જે (રોગ) છે તેના માટે ઈલાજ છે અને માર્ગદર્શન કરવાવાળી છે અને કૃપા છે ઈમાનવાળાઓના માટે.
(૫૮) તમે કહી દો કે, “બસ, લોકોએ અલ્લાહની કૃપા અને મહેરબાની પર ખુશ થવું જોઈએ[1] તે તેનાથી ઘણું વધારે બહેતર છે જેને તેઓ ભેગું કરી રહ્યા છે.”
(૫૯) તમે કહી દો કે, “એ તો બતાવો કે અલ્લાહે તમારા માટે જે રોજી મોકલી હતી, પછી તમે તેનો કેટલોક ભાગ હરામ અને કેટલોક ભાગ હલાલ કરી લીધો,[1] તમે પૂછો કે, “શું તમને અલ્લાહે હુકમ આપ્યો હતો અથવા અલ્લાહ પર જૂઠ ઘડો છો?”
(૬૦) અને જે લોકો અલ્લાહ ઉપર જૂઠ ઘડે છે તેમનું કયામત વિશે શું માનવું છે? હકીકતમાં લોકો ઉપર અલ્લાહ (તઆલા)નો મોટો ઉપકાર છે પરંતુ મોટાભાગના લોકો આભાર માનતા નથી. (ع-૬)