(૭૬) કારૂન હતો તો મૂસાની કોમમાંથી, પરંતુ તેમના ઉપર જુલમ કરવા લાગ્યો હતો, અમે તેને એટલો બધો ખજાનો આપી રાખ્યો હતો કે કેટલાય શક્તિશાળી માણસો મુશ્કેલીથી તેની ચાવીઓ ઉઠાવી શક્તા હતા, એક વખતે તેની કોમે તેને કહ્યું કે, “ઈતરાવ નહિ, અલ્લાહ (તઆલા) ઈતરાવનારાઓને પસંદ નથી કરતો.
(૭૭) અને જે કંઈ અલ્લાહ (તઆલા)એ તને આપી રાખ્યું છે તેમાંથી આખિરતના ઘરની ચિંતા કર અને પોતાના દુનિયાના હિસ્સાને પણ ન ભૂલ, અને જેવો અલ્લાહે તારા ઉપર ઉપકાર કર્યો છે તું પણ સારો વર્તાવ કર અને ધરતીમાં બગાડ પેદા કરવાની ઈચ્છા ન કર, યકીન કર કે અલ્લાહ (તઆલા) ફસાદીઓને પસંદ નથી કરતો.”
(૭૮) કારૂને કહ્યું, “આ બધું મને મારા ઈલ્મના કારણે આપવામાં આવ્યું છે”, શું અત્યાર સુધીમાં તેણે જાણ્યું કે અલ્લાહ (તઆલા) એ તેના પહેલા ઘણા વસ્તીવાળાઓને હલાક કરી દીધા, જેઓ તેનાથી વધારે શક્તિશાળી અને વધારે ધનવાન હતા,[1] અને મુજરીમોને તેમના ગુનાહોની પૂછપરછ આવા સમયે કરવામાં નથી આવતી.[2]
(૭૯) એક દિવસે (કારૂન) પૂરા શણગાર સાથે પોતાની કોમના ટોળા વચ્ચેથી પસાર થયો,[1] તો જે લોકો દુનિયાની જિંદગીની લાલસા રાખતા હતા તેઓએ કહ્યું કે, “કાશ, અમને કોઈ રીતે તે બધું મળી જતું જે કારૂનને આપવામાં આવ્યું છે, આ તો મોટો ભાગ્યશાળી છે.”
(૮૦) અને આલિમ લોકો તેમને કહેવા લાગ્યા કે, “અફસોસની વાત છે, સારી વસ્તુ તો તે છે જે ભલાઈના સ્વરૂપમાં તેમને મળશે જેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, આ વાત એમના જ દિલોમાં નાખવામાં આવે છે જેઓ સબ્ર કરનારા (ધૈર્યવાન) અને સહનશીલ હોય.”[1]
(૮૧) (અંતે) અમે તેને તેના મહેલ સાથે ધરતીમાં ખૂંપાવી દીધો અને અલ્લાહ સિવાય કોઈ સમૂહ તેની મદદ માટે તૈયાર ન થયું, ન તે પોતે પોતાને બચાવનારાઓમાંથી થઈ શક્યો.
(૮૨) અને જે લોકો ગઈકાલ સુધી તેના દરજ્જા સુધી પહોંચવાની આશા રાખતા હતા, તેઓ આજે કહેવા લાગ્યા કે શું તમે નથી જોતા કે અલ્લાહ (તઆલા) જ પોતાના બંદાઓમાંથી જેના માટે ઈચ્છે રોજી વધારે કરી દે છે અને ઓછી પણ, જો અલ્લાહ (તઆલા) અમારા પર ઉપકાર ન કરતો તો અમને પણ ધરતીમાં ખૂંપાવી દેતો, શું જોતા નથી કે કાફિરોને કદી સફળતા પ્રાપ્ત થતી નથી ? (ع-૮)