(૬૯) હે ઈમાનવાળાઓ! તે લોકો જેવા ન બની જાઓ જેમણે મૂસાને તકલીફો આપી, તો જે વાત તેઓએ કહી હતી અલ્લાહે તેમને તેનાથી મુક્ત કરી દીધા,[1] અને તે અલ્લાહ પાસે સન્માનિત હતા.
(૭૦) હે ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા)થી ડરો અને સીધી (હક) વાત કહ્યા કરો.
(૭૧) જેથી અલ્લાહ (તઆલા) તમારા કર્મો સુધારી દેશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને જે કોઈ પણ અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરશે તેણે મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી.
(૭૨) અમે અમારી અમાનતને આકાશો અને ધરતી અને પર્વતો પર રજૂ કરી (પરંતુ) તમામે તેને ઉઠાવવાનો ઈન્કાર કરી દીધો અને તેનાથી ડરી ગયા, (પરંતુ) મનુષ્યએ તેને ઉપાડી લીધી, બેશક તે (મનુષ્ય) મોટો જાલિમ અને અજ્ઞાની છે.
(૭૩) (આ એટલા માટે) કે અલ્લાહ (તઆલા) મુનાફિક પુરૂષો અને મુનાફિક સ્ત્રીઓ અને મૂર્તિપૂજક પુરૂષો અને મૂર્તિપૂજક સ્ત્રીઓને સજા આપે અને ઈમાનવાળા પુરૂષો અને ઈમાનવાળી સ્ત્રીઓની તૌબા કબૂલ કરી લે, અને અલ્લાહ (તઆલા) મોટો માફ કરનાર અને દયાળુ છે. (ع-૯)