અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હે લોકો ! પોતાના રબથી ડરો, બેશક કયામતનો ધરતીકંપ ખૂબ મોટી વસ્તુ છે.
(૨) જે દિવસે તમે તેને જોઈ લેશો, પ્રત્યેક દૂધ પીવડાવનારી માતા પોતાના દૂધ પીતા બાળકને ભૂલી જશે અને તમામ ગર્ભવતીનો ગર્ભ પડી જશે, અને તમે લોકોને ભાન ભૂલેલા જોશો, જો કે તેઓ હકીકતમાં ભાન ભૂલેલા નહીં હોય, પરંતુ અલ્લાહનો અઝાબ ઘણો સખત છે.[1]
(૩) અને કેટલાક લોકો અલ્લાહ વિશે વાતો બનાવે છે તે પણ અજ્ઞાનતાની સાથે, અને દરેક બંડખોર શેતાનનું અનુસરણ કરે છે.
(૪) જેના પર અલ્લાહનો ફેંસલો લખી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ તેની દોસ્તી કરશે તેને તે ભટકાવી દેશે અને તેને આગના અઝાબ તરફ લઈ જશે.
(૫) હે લોકો! જો તમને મૃત્યુ પછી જીવતા થવામાં શંકા છે, તો વિચારો કે અમે તમને માટીમાંથી પેદા કર્યા, પછી વિર્યથી, પછી ગંઠાયેલા લોહીથી, પછી માંસના ટુકડાથી જેને રૂપ આપી દેવામાં આવ્યું હોય અથવા રૂપ વગર પણ, આ અમે તમારા પર સ્પષ્ટ કરી દઈએ છીએ, અને અમે જેને ઈચ્છીએ એક નિર્ધારિત સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળકના સ્વરૂપમાં દુનિયામાં લાવીએ છીએ, જેથી તમે પોતાની યુવાવસ્થાએ પહોંચો, તમારામાંથી કેટલાક એવા છે જે મૃત્યુ પામે છે અને કેટલાક નકામી ઉંમર તરફ પાછા ફેરવવામાં આવે છે, કે તેઓ એક વસ્તુથી પરિચિત થઈ ગયા પછી ફરીથી અજાણ બની જાય, તમે જુઓ છો કે ધરતી વેરાન અને સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ખીલી ઉઠે છે અને ફૂલેફાલે છે અને દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડે છે.
(૬) આ એટલા માટે કે અલ્લાહ જ સત્ય છે અને તે જ મડદાઓને જીવતા કરે છે અને તે દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.
(૭) અને એ કે કયામત જરૂર આવવાની છે જેમાં કોઈ શંકા નથી, અને બેશક અલ્લાહ (તઆલા) ક્બરવાળાઓને ફરીથી જીવતા કરશે.
(૮) અને કેટલાક લોકો અલ્લાહ વિશે ઝઘડે છે કોઈ ઈલ્મ અને હિદાયત વગર અને વગર કોઈ પ્રકાશવાળી કિતાબના.
(૯) પોતાની ગરદન અક્કડ રાખીને જેથી લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકે, આવો માણસ દુનિયામાં પણ અપમાનિત થશે અને કયામતના દિવસે પણ અમે તેને આગનો અઝાબ ચખાડીશું.
(૧૦) આ તે કર્મોના કારણે છે જે તારા હાથોએ આગળ મોકલી રાખ્યા હતા, નહિં તો અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ ઉપર જુલમ કરવાવાળો નથી. (ع-૧)