(૧૫) હે લોકો ! તમે અલ્લાહના મોહતાજ છો અને અલ્લાહ જ ગની (બેનિયાઝ અને) પ્રશંસાવાળો છે.
(૧૬) જો તે ઈચ્છે તો તમને બરબાદ કરી દે અને એક નવી સૃષ્ટિ પેદા કરી દે.
(૧૭) અને આ વાત અલ્લાહ (તઆલા) માટે સહેજ પણ કઠીન નથી.
(૧૮) અને કોઈ બોજ ઉપાડનાર કોઈ બીજાનો બોજ નહે ઉપાડે, અને જો કોઈ ભારે બોજવાળો પોતાનો બોજ ઉપાડવા માટે કોઈ બીજાને બોલાવશે તો તે તેમાંથી કશું પણ નહિ ઉપાડી શકે, ભલેને નજીકનો રિશ્તેદાર જ કેમ ન હોય, તમે ફક્ત તેમને જ આગાહ કરી શકો છો જેઓ જોયા વગર પોતાના રબથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે, અને જેઓ પવિત્ર થઈ જાય તેઓ પોતાના ફાયદા માટે જ પવિત્ર થશે અને અલ્લાહ તરફ જ સૌને પાછા ફરવાનું છે.
(૧૯) અને આંધળો અને આંખોવાળો સમાન નથી.
(૨૦) અને ન અંધકાર અને પ્રકાશ.
(૨૧) અને ન છાંયડો અને તડકો.
(૨૨) અને જીવિત અને મૃત સમાન નથી હોઈ શક્તા અને અલ્લાહ (તઆલા) જેને ચાહે છે સંભળાવી દે છે અને તમે તે લોકોને સંભળાવી નથી શક્તા જેઓ કબરોમાં છે.[1]
(૨૩) તમે તો ફક્ત ડરાવનારા છો.
(૨૪) અમે જ તમને સત્ય આપીને ખુશખબર સંભળાવનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યા છે અને કોઈ ઉમ્મત એવી નથી થઈ જેમાં કોઈ ડરાવનાર ન આવ્યો હોય.
(૨૫) અને જો આ લોકો તમને ખોટા ઠેરવે તો જે લોકો આમના પહેલા થઈ ગયા તેમણે પણ ખોટા ઠેરવ્યા હતા, તેમના પાસે પણ તેમના પયગંબર ચમત્કારો, પુસ્તિકાઓ (સહીફા) અને સ્પષ્ટ કિતાબ લઈને આવ્યા હતા.
(૨૬) પછી મેં તે કાફિરોને ઝડપી લીધા તો જોઈ લો મારો અઝાબ કેવો રહ્યો. (ع-૩)