(૨૫૪)હે ઈમાનવાળાઓ! જે અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરતા રહો, એના પહેલા કે એ દિવસ આવી જાય જે દિવસે ન વેપાર છે ન દોસ્તી અને ન ભલામણ, અને કાફિરો જ જાલિમ છે.
(૨૫૫) અલ્લાહ (તઆલા) જ સાચો માઅબૂદ છે, તેના સિવાય કોઈ માઅબૂદ નથી, જે જીવંત છે, અને બધાને ટકાવી રાખનાર છે, તેને ન ઉંઘ આવે છે ન ઝોકું, તેની જ બાદશાહી છે ધરતી અને આકાશની બધી વસ્તુઓ પર, કોણ છે જે તેના હુકમ વગર તેના સામે ભલામણ કરી શકે, તે જાણે છે જે તેઓની સામે છે અને જે તેઓની પાછળ છે, અને તેઓ તેના ઇલ્મમાંથી કોઈ વસ્તુનો ઘેરો નથી કરી શકતા, પરંતુ તે જેટલું ઈચ્છે. તેની કુર્સીની વિશાળતાએ ધરતી અને આકાશને ઘેરી લીધેલ છે, તે અલ્લાહ (તઆલા) તેની સુરક્ષાથી ન થાકે છે અને ન ઉબકે છે, તે તો ઘણો મહાન અને ઘણો ઉચ્ચ છે.
(૨૫૬) ધર્મના વિશે કોઈ બળજબરી નથી, સત્ય, જૂઠથી અલગ થઈ ગયુ, એટલા માટે જે માણસ તાગૂત (અલ્લાહ તઆલાના સિવાય બીજા માઅબૂદો)ને નકારી અલ્લાહ (તઆલા) પર ઈમાન લાવે, તેણે મજબૂત કડું પકડી લીધું, જે ક્યારેય પણ નહિ તૂટે, અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.
(૨૫૭) ઇમાનવાળાઓનો સંરક્ષક (વલી) અલ્લાહ (તઆલા) પોતે છે, તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અને કાફિરોના દોસ્ત શયતાન છે, તે તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય છે, આ લોકો જ જહન્નમી છે, જેઓ તેમાં હંમેશા પડ્યા રહેશે.