(૩૪) અને દરેક ઉમ્મત માટે અમે કુરબાનીની પધ્ધતિ નક્કી કરી દીધી છે જેથી તેઓ તે ચોપાયા જાનવરો પર અલ્લાહનું નામ લે, જે અલ્લાહે તેમને આપી રાખ્યા છે. (સમજી લો) તમારા બધાનો સાચો મા'બૂદ ફક્ત એક જ છે, તમે તેના આધીન અને આજ્ઞાંકિત બની જાઓ, આજીજી કરનારાઓને ખુશખબર આપી દો.
(૩૫) જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે ત્યારે તેમના દિલ ધ્રુજી ઉઠે છે, તેમને જે મુસીબત પહોંચે છે તેના પર સબ્ર કરે છે, નમાઝ કાયમ કરવાવાળા છે, અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેમાંથી ખર્ચ કરે છે.
(૩૬) કુરબાનીના ઊંટોને[1] અમે તમારા માટે અલ્લાહ (તઆલા) ની નિશાનીઓમાં સામેલ કરી દીધા છે. તેમાં તમને ફાયદો છે, તો તેમને ઊભા રાખીને તેમના ઉપર અલ્લાહનું નામ લો,[2] પછી જ્યારે તેમના પડખા ધરતી સાથે લાગી જાય તો તેમાંથી પોતે પણ ખાઓ[3] અને નિર્ધન ભિખારીને અને જે ભિખારી ન હોય તેમને પણ ખવડાવો. આ રીતે અમે ચોપાયાને તમારા આધીન કરી દીધા છે કે જેથી તમે આભાર માનો.
(૩૭) અલ્લાહ (તઆલા) ને કુરબાનીનું માંસ નથી પહોંચતુ, ન તેમનું લોહી, બલ્કે તેને તો તમારા દિલની પરહેઝગારી પહોંચે છે, એવી રીતે અલ્લાહે તે જાનવરોને તમારા આધીન કરી દીધા કે તમે તેની આપેલી હિદાયત (ના આભારો) માં તેની મહાનતાનું વર્ણન કરો અને નેક કામ કરનારાઓને ખુશખબર સંભળાવી દો.
(૩૮) (સાંભળી લો!) સાચા ઈમાનવાળાઓના દુશ્મનોને અલ્લાહ (તઆલા) પોતે હટાવી દે છે, કોઈ વિશ્વાસઘાત કરનાર નાશુક્રાને અલ્લાહ (તઆલા) પસંદ નથી કરતો. (ع-૫)