(૩૫) બેશક મુસલમાન પુરૂષો અને મુસલમાન સ્ત્રીઓ, ઈમાનવાળા પુરૂષો અને ઈમાનવાળી સ્ત્રીઓ, આજ્ઞાપાલન કરનારા પુરૂષો અને આજ્ઞાપાલન કરનારી સ્ત્રીઓ, સાચા પુરૂષો અને સાચી સ્ત્રીઓ, સબ્ર કરનાર પુરૂષો અને સબ્ર કરનારી સ્ત્રીઓ, વિનંતી કરનાર પુરૂષો અને વિનંતી કરનારી સ્ત્રીઓ, દાન આપવાવાળા પુરૂષો અને દાન આપવાવાળી સ્ત્રીઓ, રોઝા (વ્રત) રાખવાવાળા પુરૂષો અને રોઝા રાખવાવાળી સ્ત્રીઓ, પોતાના ગુપ્તાંગોની રક્ષા કરનાર પુરૂષો અને પોતાના ગુપ્તાંગોની રક્ષા કરનારી સ્ત્રીઓ, અને અલ્લાહને ખૂબ યાદ કરનારા અને કરનારીઓ, આ બધા માટે અલ્લાહ (તઆલા) એ મગફિરત (ક્ષમા) અને મોટો બદલો તૈયાર કરી રાખ્યો છે.
(૩૬) અને (જુઓ) કોઈ મોમિન પુરૂષ અને સ્ત્રીને અલ્લાહ અને તેના રસૂલના ફેંસલા પછી પોતાની કોઈ વાતનો અધિકાર બાકી રહેતો નથી,[1] (યાદ રાખો) જે કોઈ અલ્લાહ (તઆલા) અને તેના રસૂલની નાફરમાની કરશે તે સ્પષ્ટ ગુમરાહીમાં પડશે.
(૩૭) અને (યાદ કરો) જયારે કે તમે તે વ્યક્તિને કહી રહ્યા હતા જેના પર અલ્લાહે પણ કૃપા કરી અને તમે પણ કરી કે, “તું પોતાની પત્ની પોતાના પાસે રાખ અને અલ્લાહથી ડર”, અને તમે પોતાના દિલમાં તે વાત છૂપાવી હતી જેને અલ્લાહ (તઆલા) જાહેર કરવાનો હતો અને તમે લોકોથી ડરતા હતા, જ્યારે કે અલ્લાહ (તઆલા) આનો વધારે હકદાર હતો કે તમે તેનાથી ડરો, તો જ્યારે ઝૈદ પોતાની પત્નીથી પોતાની જરૂરત પૂરી કરી ચૂક્યો તો અમે તેને તમારા નિકાહમાં આપી દીધી, જેથી મુસલમાનો પર પોતાના દત્તકપુત્રોની પત્નીઓના વિશે કોઈ પ્રકારનો સંકોચ ન રહે, જયારે કે તે પોતાની જરૂરત તેનાથી પૂરી કરી લે,[1] અલ્લાહનો આ આદેશ થઈને જ રહેવાનો હતો.
(૩૮) જે વસ્તુઓ અલ્લાહ (તઆલા) એ પોતાના નબી માટે જાઈઝ (માન્ય) કરી છે તેમાં નબીને કોઈ વાંધો નથી, ( આ જ ) અલ્લાહનો કાનૂન તેમનામાં પણ રહ્યો જેઓ પહેલા થઈ ગયા અને અલ્લાહ (તઆલા)ના કામ અંદાજાથી નિર્ધારિત કરેલા છે.
(૩૯) આ બધા એવા હતા કે અલ્લાહ (તઆલા)ના આદેશો પહોંચાડ્યા કરતા હતા અને અલ્લાહથી જ ડરતા હતા અને અલ્લાહ સિવાય બીજા કોઈથી ડરતા ન હતા અને અલ્લાહ (તઆલા) હિસાબ લેવા માટે પૂરતો છે.
(૪૦) (લોકો!) તમારા પુરૂષોમાંથી મોહંમદ (સ.અ.વ.) કોઈના પિતા નથી,[1] પરંતુ તે અલ્લાહ (તઆલા)ના રસૂલ છે અને તમામ નબીઓમાં છેલ્લા છે,[2] અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુને સારી રીતે જાણે છે. (ع-૫)