(૨૭) અને અમે આકાશો અને ધરતી અને તેના વચ્ચેની વસ્તુઓ બેકાર પેદા નથી કરી,[1] આ શંકા તો કાફિરોની છે, તો કાફિરો માટે આગની ખરાબી છે.
(૨૮) શું અમે તે લોકોને જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના સમાન કરી દઈશું જેઓ (દરરોજ) ધરતી પર ફસાદ મચાવતા રહ્યા, અથવા પરહેઝગારોને બદકારોના સમાન કરી દઈશું ?
(૨૯) આ મુબારક કિતાબ છે જેને અમે તમારા તરફ એટલા માટે ઉતારી છે કે જેથી આ લોકો તેની આયતો પર ધ્યાન આપે અને વિચાર કરે અને બુદ્ધિશાળી લોકો આમાંથી નસીહત પ્રાપ્ત કરે.
(૩૦) અને અમે દાઊદને સુલૈમાન (નામનો પુત્ર) પ્રદાન કર્યો જે સર્વશ્રેષ્ઠ હતો અને પુષ્કળ પ્રમાણમાં પોતાના રબ તરફ રુજૂ થનાર.
(૩૧) જ્યારે તેના સામે સાંજના સમયે ઝડપથી ચાલવાવાળા ખાસ ઘોડા રજૂ કરવામાં આવ્યા.
(૩૨) તો કહેવા લાગ્યો કે, “મેં પોતાના રબની યાદ પર આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી.” ત્યાં સુધી કે સૂરજ ડૂબી ગયો.
(૩૩) આ ઘોડાઓને મારા પાસે પાછા લાવો, પછી પિંડલિયો અને ડોક પર હાથ ફેરવવા લાગ્યો.
(૩૪) અને અમે સુલૈમાનની પરીક્ષા કરી અને તેના સિંહાસન પર એક ધડ નાખી દીધું,[1] પછી તે (અલ્લાહ) તરફ પાછો વળ્યો.
(૩૫) કહ્યું કે, “હે મારા રબ! મને માફ કર અને મને એવું રાજ્ય પ્રદાન કર જે મારા સિવાય કોઈ (વ્યક્તિ)ને લાયક ન હોય, તું મોટો દાતા છે.”
(૩૬) તો અમે હવાને તેના કાબૂમાં કરી દીધી, જે તેના આદેશથી જ્યાં તે ચાહતો તે તરફ નરમીથી પહોંચાડી દેતી.[1]
(૩૭) અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેના આધીન કરી દીધા) અને દરેક ઘર બનાવનારને અને ડૂબકી લગાવનારને.
(૩૮) અને બીજા (જિન્નાતો)ને પણ જેઓ બેડીઓમાં જકડાયેલા હતા.
(૩૯) આ છે અમારૂ વરદાન, હવે તું અહેસાન કર અથવા રોકી રાખ કશો હિસાબ નથી.
(૪૦) અને તેમના માટે અમારા પાસે મોટી નિકટતા છે અને ઘણું સારૂ ઠેકાણું છે. (ع-૩)