(૩૬) અને નૂહ તરફ વહી મોકલવામાં આવી કે તમારી કોમના જે લોકો ઈમાન લાવી ચૂક્યા છે તેમના સિવાય હવે કોઈ ઈમાન લાવશે નહિ, પછી તો તેમના કર્મો પર દુઃખી ન થાઓ.
(૩૭) અને એક નૌકા અમારી આંખો સામે અને અમારી વહી અનુસાર તૈયાર કરો[1] અને જાલિમોના વિશે અમને કોઈ વાત ન કરો, તેઓને પાણીમાં ડૂબાડી દેવામાં આવશે.[2]
(૩૮) તે (નૂહ) નૌકા બનાવવા લાગ્યા, તેમની કોમના જે જૂથો તેમના પાસેથી પસાર થતા તો તેઓ તેમનો મજાક ઉડાવતા, તેમણે કહ્યું, “જો તમે અમારા પર હસી રહ્યા છો તો અમે પણ તમારા ઉપર એક દિવસે હસીશું જેવી રીતે તમે હસી રહ્યા છો.
(૩૯) તમને જલદી જાણ થઈ જશે કે કોના ઉપર અઝાબ આવવાનો છે, જે તેને અપમાનિત કરે અને તેના પર કાયમી અઝાબ ઉતરી આવે.”
(૪૦) ત્યાં સુધી કે જયારે અમારો હુકમ આવી ગયો અને તંદૂર ઉભરાઈ ગયો,[1] અમે કહ્યું કે, “આ નૌકામાં દરેક પ્રકારના એક-એક જોડા સવાર કરાવી લો[2] અને પોતાના ઘરના લોકોને પણ, સિવાય તેમના જેમના ઉપર પહેલાથી વાત પડી ચૂકી છે, અને તમામ ઈમાનવાળાઓને પણ,” તેમના સાથે ઈમાન લાવનારા ઘણા ઓછા હતા.
(૪૧) અને નૂહે કહ્યું કે, “આ નૌકામાં બેસી જાઓ અલ્લાહના નામથી તેનું ચાલવું અને થોભવું છે,[1] બેશક મારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે.”
(૪૨) અને તે નૌકા તેમને પહાડો જેવી મોજોમાંથી લઈને ચાલી રહી હતી,[1] અને નૂહે પોતાના પુત્રને જે એક કિનારા પર હતો પોકારીને કહ્યુ, “અય મારા વ્હાલા પુત્ર! અમારા સાથે સવાર થઈ જા અને કાફિરોમાં સામેલ ન થા."[2]
(૪૩) તેણે જવાબ આપ્યો, “હું તો કોઈ ઊંચા પહાડની પનાહમાં આવી જઈશ જે મને પાણીથી બચાવી લેશે.” નૂહે કહ્યું, “આજે અલ્લાહના હુકમથી કોઈ બચાવનાર નથી, ફક્ત એ જ લોકો બચી જશે જેમના ઉપર અલ્લાહ દયા કરે”, તે વખતે તેમના વચ્ચે મોજું આવી ગયુ અને તે ડૂબનારાઓમાં સામેલ થઈ ગયો.
(૪૪) અને કહી દેવામાં આવ્યું કે, “હે ધરતી! પોતાના પાણીને ગળી જા,[1] અને હે આકાશ! બસ કર થોભી જા” તે વખતે પાણી સુકાવી દેવામાં આવ્યુ અને કામ પૂરું કરી દેવામાં આવ્યુ, અને નૌકા 'જૂદી' નામના પહાડ[2] ઉપર થોભી ગઈ, અને કહેવામાં આવ્યું કે અન્યાય કરનારાઓ પર લા'નત ઉતરે.
(૪૫) અને નૂહે પોતાના રબને પોકાર્યા અને કહ્યું કે, “હે મારા રબ ! મારો પુત્ર મારા ઘરવાળાઓમાંથી છે, બેશક તારો વાયદો સંપૂર્ણ સાચો છે અને તું તમામ ફેંસલો કરનારાઓમાંથી બહેતર ફેંસલો કરનાર છે.[1]
(૪૬) (અલ્લાહે) ફરમાવ્યું, “હે નૂહ! બેશક તે તારા ઘરવાળાઓમાંથી નથી[1] તેના કામો બિલકુલ અપ્રિય છે[2] તમારે કદી એવી વસ્તુ ન માંગવી જોઈએ જેનું તમને ઈલ્મ ન હોય,[3] હું તમને નસીહત કરૂ છું કે તમે પોતાને અજ્ઞાનીઓમાં ગણતરી કરાવવાથી રોકાઈ જાઓ.”
(૪૭) (નૂહે) કહ્યું, “હે મારા રબ! હું તારી પનાહ માગુ છું એ વાતથી કે તારા પાસે તે વસ્તુ માંગુ જેનું મને ઈલ્મ ન હોય, જો તુ મને માફ નહિ કરે અને મારા પર દયા નહિ કરે તો હું નુકસાન ઉઠાવનારાઓમાં થઈ જઈશ.”
(૪૮) કહેવામાં આવ્યું કે, “હે નૂહ! અમારા તરફથી સલામતી અને તે બરક્તો સાથે ઉતરો જે તમારા ઉપર છે અને તમારા સાથેની ઘણી ઉમ્મતો ઉપર, અને ઘણી ઉમ્મતો એવી હશે જેમને અમે. ફાયદો તો જરૂર પહોંચાડીશું, પરંતુ પછી તેમને અમારા તરફથી પીડાકારી સજા પણ પહોંચશે.
(૪૯) આ ખબરો ગૈબની ખબરોમાંથી છે જેની વહી અમે તમારા તરફ કરી રહ્યા છીએ, આ અગાઉ ન તમે તેને જાણતા હતા અને ન તમારી કોમ, એટલા માટે તમે સબ્ર કરો, યકીન કરો કે અંતિમ પરિણામ અલ્લાહથી ડરનારાઓના પક્ષમાં છે. (ع-૪)