(૧૨૯) અને જો તમારા રબની વાત પહેલાથી જ નિર્ધારિત કરી દેવામાં ન આવી હોત અને મહેતલ માટે મુદ્દત ઠેરવી દેવામાં ન આવી હોત તો આ સમયે જરૂર તેમનો ફેંસલો ચૂકવી દેવાયો હોત.
(૧૩૦) તો તેમની વાતો પર સબ્ર કરો અને પોતાના રબની પવિત્રતા અને મહાનતાનું વર્ણન કરતા રહો, સૂરજ નીકળતા પહેલા અને તેના ડૂબવાના પહેલા અને રાતની ઘડીઓમાં પણ અને દિવસના ભાગોમાં પણ તસ્બીહ (મહીમાગાન) કરતા રહો, કદાચ તમે ખુશ થઈ જાઓ.[1]
(૧૩૧) અને પોતાની નજરોને કદી તે વસ્તુ તરફ ન દોડાવતા, જેને અમે તેમનામાંથી જુદા જુદા લોકોને દુનિયાની શોભા માટે આપી રાખી છે, જેથી એમાં તેમની અજમાયશ કરી લઈએ, તમારા રબની આપેલી રોજી જ ઘણી ઉત્તમ અને બાકી રહેનારી છે.
(૧૩૨) અને પોતાના પરિવારના લોકોને નમાઝનો હુકમ આપો અને પોતે પણ તેના પર મજબૂત રહો,[1] અમે તમારાથી રોજી નથી માંગતા બલ્કે અમે પોતે તમને રોજી આપીએ છીએ, છેવટે સારૂ પરિણામ તો પરહેઝગારોનું જ હોય છે.
(૧૩૩) અને (તેમણે) કહ્યું કે, “આ (નબી) અમારા માટે પોતાના રબના પાસેથી કોઈ નિશાની કેમ નથી લાવ્યો?'' શું તેમના પાસે પહેલાની કિતાબોની સ્પષ્ટ નિશાનીઓ તથી પહોંચી?
(૧૩૪) અને જો અમે તેના પહેલા જ આમને અઝાબથી હલાક કરી દેતા તો જરૂર આ લોકો કહી ઉઠતા કે, “હે અમારા રબ! તેં અમારા પાસે પોતાના રસૂલ કેમ ન મોકલ્યા કે અમને અપમાનિત અને તિરસ્કૃત કરવામાં આવે તેના પહેલા તારી આયતોનું પાલન કરતા.”
(૧૩૫) કહી દો કે પ્રત્યેક વ્યક્તિ પરિણામની રાહ જોઈ રહ્યો છે, તો તમે પણ રાહ જુઓ, હમણાં જ પૂરી રીતે જાણી લેશો કે સીધા માર્ગ ઉપર ચાલનારા કોણ છે અને કોણ હિદાયત પામેલા છે ? (ع-૮)