અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તમામ પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેની માલિકીમાં તે બધું જ છે જે આકાશો અને ધરતીમાં છે અને આખિરતમાં પણ તેના માટે જ પ્રશંસા છે, તે ઘણો હિકમતવાળો અને (સંપૂર્ણ) ખબર રાખવાવાળો છે.
(૨) જે કંઈ ધરતીમાં જાય અને જે કંઈ ધરતીમાંથી નીકળે, જે કંઈ આકાશમાંથી ઉતરે અને જે કંઈ તેમાં ચઢીને જાય છે, તે બધાથી બાખબર છે અને તે ઘણો દયાળુ અને માફ કરનાર છે.
(૩) અને કાફિરો કહે છે કે અમારા પર કયામત સ્થાપિત (કાયમ) થશે નહિં, તમે કહી દો કે, “મને મારા રબના સોગંદ! જે ગૈબ (પરોક્ષ) નો જાણવાવાળો છે કે તે બેશક તમારા પર કાયમ થશે, અલ્લાહ (તઆલા)થી એક કણ જેટલી વસ્તુ પણ છૂપાયેલી નથી, ન આકાશોમાં અને ન ધરતીમાં, બલ્કે એનાથી પણ નાની અને મોટી તમામ વસ્તુ સ્પષ્ટ કિતાબમાં મોજૂદ છે.
(૪) જેથી તે ઈમાનવાળાઓ અને નેક લોકોને સારો બદલો પ્રદાન કરે,[1] આ જ લોકો છે જેમના માટે માફી અને સન્માનિત રોજી છે.
(૫) અને અમારી આયતોને નીચું દેખાડવામાં જેમણે કોશિશ કરી છે આ તે લોકો છે જેમના માટે સૌથી ખરાબ પ્રકારનો સખત અઝાબ છે.
(૬) અને જેમને ઈલ્મ છે તેઓ જોઈ લેશે કે જે કંઈ તમારા ઉપર તમારા રબ તરફથી અવતરિત થયું છે તે (સંપૂર્ણપણે) સત્ય છે,[1] અને અલ્લાહ પ્રભુત્વશાળી અને પ્રશંસાપાત્ર માર્ગની હિદાયત કરે છે.
(૭) અને કાફિરોએ કહ્યું કે, “આવો અમે તમને એક એવો માણસ બતાવીએ જે તમને એવી ખબરો પહોંચાડી રહ્યો છે કે જ્યારે તમે પૂરી રીતે કણ કણ થઈ જશો તો તમે નવેસરથી પેદા કરવામા આવશો.”
(૮) (અમે નથી કહેતા) કે તેણે પોતે જ અલ્લાહ પર જૂઠ ઘડી લીધું છે અથવા તેને ઉન્માદ (ઝનૂન) થઈ ગયો છે, બલ્કે (હકીકત એ છે કે) આખિરત પર ઈમાન ન રાખનારા જ અઝાબમાં અને દૂરના ભટકાવમાં છે.
(૯) તો શું આ લોકો પોતાના આગળ-પાછળ આકાશ અને ધરતીને જોઈ નથી રહ્યા? જો અમે ઈચ્છીએ તો આમને ધરતીમાં ખૂંપાવી દઈએ અથવા આમના ઉપર આકાશમાંથી ટુકડા પાડી દઈએ,[1] બેશક આમાં નિશાની છે તે દરેક મનુષ્ય માટે જે અલ્લાહ તરફ રજૂ થનાર હોય. (ع-૧)