(૧૪) અને અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોકલ્યા, તે તેમના વચ્ચે સાડા નવસો વર્ષ સુધી રહ્યા, છેવટે તે લોકોને તોફાને ઝડપી લીધા અને તેઓ હતા પણ જાલિમ.
(૧૫) ત્યારબાદ અમે તેમને અને નૌકાવાળાઓને છૂટકારો આપ્યો અને અમે આ કિસ્સાને સમગ્ર દુનિયાના લોકો માટે બોધદાયક નિશાની બનાવી દીધી.
(૧૬) અને ઈબ્રાહીમ (અ.સ.) એ પણ પોતાની કોમને કહ્યું કે, “અલ્લાહ (તઆલા)ની બંદગી કરો અને તેનાથી ડરતા રહો, જો તમારામાં બુદ્ધિ હોય તો આ જ તમારા માટે બહેતર છે
(૧૭) તમે તો અલ્લાહ સિવાય મૂર્તિઓની પૂજા કરી રહ્યા છો અને જૂઠી વાતો મનથી ઘડી લો છો (સાંભળો !) જેમની તમે અલ્લાહ (તઆલા) સિવાય બંદગી કરી રહ્યા છો, તેઓ તો તમારી રોજી ના માલિક નથી, એટલા માટે તમારે જોઈએ કે અલ્લાહ (તઆલા) પાસે જ રોજી માંગો અને તેની જ બંદગી કરો અને તેનો જ આભાર માનો, અને તેના તરફ જ તમે પાછા લઈ જવામાં આવશો.
(૧૮) અને જો તમે ખોટા ઠેરવો તો તમારા પહેલાના લોકોએ પણ ખોટા ઠેરવ્યા છે,[1] અને રસૂલનું કર્તવ્ય તો ફક્ત સ્પષ્ટપણે સંદેશો પહોંચાડી દેવાનું જ છે.”
(૧૯) શું તેમણે નથી જોયું કે અલ્લાહે સૃષ્ટિની પેદાઈશ કેવી રીતે કરી, પછી અલ્લાહ તેને પાછી ફેરવી દેશે? આ તો અલ્લાહ માટે ઘણું સરળ છે.
(૨૦) કહી દો કે, “ધરતી પર હરી-ફરીને જુઓ[1] તો ખરા કે કેવી રીતે અલ્લાહ (તઆલા)એ સૌ પ્રથમ સૃષ્ટિ પેદા કરી પછી અલ્લાહ (તઆલા) જ બીજી નવી પેદા કરશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.
(૨૧) જેને ચાહે સજા આપે અને જેના ઉપર ચાહે દયા કરે, બધા તેના તરફ જ પાછા લઈ જવામાં આવશે.
(૨૨) તમે ન તો ધરતીમાં અલ્લાહ (તઆલા)ને વિવશ કરી શકો છો ન આકાશમાં, અલ્લાહ (તઆલા) સિવાય તમારો કોઈ સંરક્ષક છે ન કોઈ સહાયક. (ع-૨)