(૬૨) ઈમાનવાળા લોકો તો તેઓ જ છે જેઓ અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલ પર ઈમાન ધરાવે છે, અને જ્યારે એવી સમસ્યા જેમાં લોકોને ભેગા થવાની જરૂરત હોય છે ત્યારે નબીના સાથે હોય છે, તો જયાં સુધી તમારા પાસેથી રજા લઈ ન લે ત્યાં સુધી ક્યાંય જતા નથી, જે લોકો (આવા મોકા પર) તમારા પાસે રજા લઈ લે છે, હકીકતમાં તે આ જ લોકો છે જે અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલ પર ઈમાન લાવી ચૂક્યા છે, તો આવા લોકો જ્યારે તમારા પાસે કોઈ કામ માટે રજા માંગે તો તમે તેમનામાંથી જેને ઈચ્છો રજા આપી દો. અને તેમના માટે અલ્લાહથી મગફિરત (માફી) ની દુઆ કરો, બેશક અલ્લાહ (તઆલા) માફ કરનાર દયાળુ છે.
(૬૩) તમે (અલ્લાહના) નબીને બોલાવવાને એવું સાધારણ બોલાવવાનું ન સમજો જેવું કે પરસ્પર એક બીજાને બોલાવો છો, તમારામાંથી અલ્લાહ તેમને સારી રીતે જાણે છે જેઓ આંખ બચાવી ચૂપચાપ નીકળી જાય છે. (સાંભળો!) જે લોકો રસૂલના હુકમનો વિરોધ કરે છે તેમણે ડરતાં રહેવું જોઈએ કે ક્યાંક તેમના ઉપર કોઈ મોટો સખત ફિતનો ન આવી પડે,[1] અથવા તેમના ઉપર કોઈ દુઃખદાયી યાતના ન આવી જાય.
(૬૪) ખબરદાર થઈ જાઓ કે આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહ (તઆલા) નું જ છે, જે માર્ગ ઉપર તમે લોકો છો, તે તેને સારી રીતે જાણે છે અને જે દિવસે લોકોને તેના તરફ પાછા ફેરવવામાં આવશે તે દિવસે તેમને બતાવી દેશે કે તેઓ શું-શું કરીને આવ્યા છે અને અલ્લાહ (તઆલા) બધું જ જાણવાવાળો છે. (ع-૮)