Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૯૭) હજના મહિનાઓ જાણેલા છે[91] એટલા માટે જે તેમાં હજ અનિવાર્ય કરે તે પોતાની પત્નીથી હમબિસ્તરી કરવા, ગુનાહ કરવા, અને લડાઈ-ઝઘડા કરવાથી બચતો રહે, તમે જે ભલાઈના કામો કરશો તેને અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે, અને પોતાની સાથે રસ્તાનો ખર્ચ લઈ લો, બધાથી બેહતર રસ્તાનો ખર્ચ તો અલ્લાહનો ડર છે અને અય અકલમંદો! મારાથી ડરતા રહો.
(૧૯૮) તમારા પર પોતાના રબનો ફઝલ શોધવામાં કોઈ ગુનોહ નથી.[92] જયારે તમે અરફાતથી પાછા ફરો તો મશઅરે હરામ (મુજદલીફા)ની નજીક અલ્લાહનો ઝિક્ર કરો અને તેના ઝિક્રનું વર્ણન એવી રીતે કરો, જેવું કે તેણે તમને નિર્દેશ આપ્યો છે, જો કે આના પહેલા તમે ગુમરાહોમાં હતા.
(૧૯૯) પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા રહો, બેશક અલ્લાહ તઆલા માફ કરવાવાળો મહેરબાન છે.
(૨૦૦) પછી જયારે તમે હજના દરેક કામ પૂરા કરી લો, તો અલ્લાહ (તઆલા)ને યાદ કરો, જેવી રીતે તમે પોતાના બાપ-દાદાઓને યાદ કરતા હતા, પરંતુ તેનાથી વધારે.[93] કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે, “અમારા રબ! અમને આ દુનિયામાં આપી દે,” આવા લોકોનો આખિરતમાં કોઈ હિસ્સો નથી.
(૨૦૧) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે, “અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે."
(૨૦૨) આ તે લોકો છે જેમના માટે તેમના અમલોનો હિસ્સો છે અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.
(૨૦૩) અને અલ્લાહ (તઆલા)ની યાદ તે ગણતરીના થોડા દિવસો (તશરીકના દિવસો)માં કરો,[94] બે દિવસ જલ્દી કરવાવાળા પર કોઈ ગુનોહ નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનોહ નથી.[95] આ પરહેઝગારો માટે છે, અને લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે બધા તેના તરફ જમા કરવામાં આવશો.
(૨૦૪) અને કેટલાક લોકોની દુન્યવી વાતો તમને ખુશ કરી દે છે અને તે પોતાના દિલની વાતો પર અલ્લાહને ગવાહ કરે છે, જો કે હકીકતમાં તે મોટો ઝઘડાળુ છે.
(૨૦૫) અને જયારે તે પાછો ફરે છે, તો જમીનમાં ફસાદ ફેલાવવા, ખેતી અને નસલની બરબાદીની કોશિશમાં લાગેલ રહે છે અને અલ્લાહ (તઆલા) ફસાદને પસંદ તથી કરતો.
(૨૦૬) અને જયારે તેને કહેવામાં આવે છે અલ્લાહથી ડર, તો ઘમંડ તેને ગુનાહ પર ઉભારે છે, આવા માટે ફક્ત જહન્નમ જ છે અને બેશક તે ઘણી ખરાબ જગ્યા છે.
(૨૦૭) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા (મરજી) પ્રાપ્ત કરવા માટે પોતાના જીવ સુધ્ધાં વેચી નાખે છે[96] અને અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ પર માયાળુ છે.
(૨૦૮) અય ઈમાનવાળાઓ! ઈસ્લામમાં પૂરેપૂરા દાખલ થઈ જાઓ અને શયતાનના પદ ચિન્હોનું અનુસરણ ન કરો,[97] તે તમારો ખુલ્લો દુશ્મન છે.
(૨૦૯) જો તમે નિશાનીઓના આવી ગયા પછી પણ લપસી જાઓ, તો જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે.
(૨૧૦) શું લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અલ્લાહ (તઆલા) પોતે વાદળોના સમૂહમાં આવી જાય, અને ફરિશ્તાઓ પણ, અને કામનો અંત કરી દેવામાં આવે, અલ્લાહ તરફ બધા કામોનું પલટલું છે.