(૨૧) અને જ્યારે અમે લોકોને દુઃખ પહોંચ્યા પછી સુખની મઝા ચખાડીએ છીએ,[1] તો તેઓ તરત જ અમારી આયતોના વિષયમાં ચાલબાજીઓ કરવા લાગે છે, તમે કહી દો કે અલ્લાહ પોતાની યુક્તિમાં તમારાથી વધારે તેજ છે બેશક અમારા ફરિશ્તાઓ તમારા છળકપટને લખી રહ્યા છે.
(૨૨) તે (અલ્લાહ) જ છે જે તમને સમુદ્ર અને જમીનમાં મુસાફરી કરાવે છે[1] ત્યાં સુધી કે જ્યારે તમે નૌકામાં હોવ છો, અને તે નૌકાઓ લોકોને સાનુકૂળ હવા વડે લઈને ચાલે છે, અને તે લોકો તેનાથી ખુશ થાય છે, તેમના પર એક તોફાની હવાનું ઝોકું આવે છે અને બધી બાજુએથી મોજો ઉઠે છે અને તે સમજે છે કે (બૂરા) ઘેરાઈ ગયા, (તે સમયે) બધા શુધ્ધ વિશ્વાસ (ખાલિસ ઈમાન) અને માન્યતા સાથે અલ્લાહને જ પોકારે છે કે, “ જો તું આનાથી બચાવી લે તો અમે જરૂર તારા આભારી બનીશું.”
(૨૩) પછી જ્યારે અલ્લાહ (તઆલા) તેમને બચાવી લે છે, તો તરત જ તેઓ ધરતીમાં નાહક ફસાદ કરવા લાગે છે. હે લોકો! આ તમારી સરકશી તમારા માટે દુઃખદાયી થવાની છે, દુનિયાની જિંદગીના (કેટલાક) ફાયદા છે, પછી તમારે અમારા પાસે આવવાનું છે, પછી અમે તમને બતાવીશું જે તમે કરતા હતા.
(૨૪) દુનિયાની જિંદગીની હાલત એવી છે, જેવી કે અમે આકાશમાંથી પાણી વરસાવ્યું, પછી તેના વડે ધરતીની વનસ્પતિ જેને મનુષ્ય અને જાનવર ખાય છે, ખૂબ લીલીછમ કરીને નીકાળી, ત્યાં સુધી કે જ્યારે તે ધરતી પોતાના શણગારનો પૂરો ભાગ લઈ ચૂકી અને તેનું સૌદર્ય ખૂબ થઈ ગયુ અને તેના માલિકે સમજ્યું કે હવે અમે તેના પર સંપૂર્ણ રીતે હકદાર થઈ ચૂક્યા, તો દિવસે અથવા રાત્રે તેના પર અમારા તરફથી કોઈ હુકમ (દુર્ઘટના) આવી ગયો, તો અમે તેને એવી સાફ કરી નાખી કે જાણે કાલે અહિં હતી જ નહિં, અમે આ રીતે નિશાનીઓનું વિગતવાર વર્ણન કરીએ છીએ એવા લોકો માટે જેઓ વિચારવા - સમજવાવાળા છે.
(૨૫) અને અલ્લાહ (તઆલા) સલામતીના ઘર તરફ તમને બોલાવે છે અને જેને ઈચ્છે છે સીધો માર્ગ દેખાડે છે.
(૨૬) જે લોકોએ નેક કામ કર્યા તેમના માટે ભલાઈ છે અને કંઈક વધારે પણ અને તેમના ચહેરા પર ન કાળાશ છવાશે અને ન અપમાન, આ લોકો જન્નતમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે.
(૨૭) અને જે લોકોએ બૂરા કામ કર્યા તેમને બૂરાઈના સમાન સજા મળશે[1] અને તેમના પર અપમાન છવાઈ જશે, તેમને અલ્લાહ (તઆલા)થી કોઈ બચાવી શકશે નહિં, જેવા કે તેમના ચહેરા પર અંધારી રાત્રિના કાળા પડદા લપેટી દેવામાં આવ્યા હોય, આ લોકો જહન્નમમાં રહેવાવાળા છે તેઓ તેમાં હંમેશા રહેશે.
(૨૮) અને તે દિવસ પણ યાદગાર છે, જે દિવસે અમે બધાને ભેગા કરીશું, પછી મૂર્તિપૂજકોને કહીશું કે તમે અને તમારા ભાગીદારો પોતાની જગ્યા ઉપર થોભો, પછી અમે તેમનામાં પરસ્પર ફૂટ નાખી દઈશું, અને તેમના તે ભાગીદારો કહેશે કે, “તમે અમારી બંદગી કરતા ન હતા.
(૨૯) અમારા અને તમારા વચ્ચે અલ્લાહ પૂરતો છે ગવાહના રૂપમાં કે અમને તો તમારી બંદગીની ખબર પણ ન હતી.”
(૩૦) તે જગ્યાએ દરેક વ્યક્તિ પોતાના અગાઉના કરેલા કામોની તપાસ કરી લેશે, અને આ લોકો અલ્લાહ તરફ જે તેમનો વાસ્તવિક માલિક છે, પાછા ફેરવવામાં આવશે અને જે કંઈ જૂઠા (મા'બૂદ) બનાવી રાખ્યા હતા, બધા તેમનાથી ગાયબ (અદ્રશ્ય) થઈ જશે. (ع-૩)