(૧૦) અલ્લાહ (તઆલા) તો એવો બરકતવાળો છે કે ઈચ્છે તો તમને ઘણા બધા બાગો પ્રદાન કરી દે. જે તેમના કહેવાતા બાગોથી ઘણા ઉત્તમ હોય, જેના નીચે નહેરો વહેતી હોય અને તમને ઘણા બધા પાકા મહેલો પણ પ્રદાન કરી દે.
(૧૧) વાત એ છે કે આ લોકો કયામતને જૂઠ સમજે છે અને કયામતને જૂઠાડનારાઓ માટે અમે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે.
(૧૨) તે જ્યારે આ લોકોને દૂરથી જોશે, તો આ લોકો તેનું ગુસ્સાથી ભભુકવું અને ચીખવું સાંભળશે.
(૧૩) અને જ્યારે આ લોકોને જહન્નમની કોઈ સાંકડી જગ્યામાં બાંધીને ફેંકી દેવામાં આવશે, તો ત્યાં પોતાના માટે મોત જ મોત પોકારશે.
(૧૪) (એમને કહેવામાં આવશે) આજે એક જ મોતને ન પોકારો બલ્કે ઘણીબધી મોતોને પોકારો.[1]
(૧૫) તમે કહી દો કે, “શું આ સારું છે[1] કે તે હંમેશાની જન્નત જેનો વાયદો પરહેઝગારો (સંયમીઓ)ને આપવામાં આવ્યો છે ? જે તેમનો બદલો છે અને તેમના પાછા ફરવાનું અસલ સ્થાન છે.
(૧૬) તેઓ જે ચાહશે તેમના માટે ત્યાં હાજર હશે જેમાં હંમેશા રહેશે. આ તો તમારા રબનો વાયદો છે જેને પૂરો કરવો જરૂરી છે આ તો તમારા રબના શિરે માંગેલો વાયદો છે.”
(૧૭) અને જે દિવસે અલ્લાહ (તઆલા) તેમને અને અલ્લાહ સિવાય જેમની તેઓ બંદગી કરતા હતા તેમને ભેગા કરીને પૂછશે, શું મારા આ બંદાઓને તમે ભટકાવ્યા કે આ લોકો પોતે ભટકી ગયા ?[1]
(૧૮) તેઓ જવાબ આપશે કે, “તું પવિત્ર છે, અને અમને પોતાને આ યોગ્ય ન હતુ કે તારા સિવાય બીજાઓને પોતાના સંરક્ષક બનાવીએ, હકીકત એ છે કે તે આમને અને આમના બાપ-દાદાઓને સંપન્નતા પ્રદાન કરી, ત્યાં સુધી કે આ લોકો નસીહતો ભૂલાવી બેઠા, આ લોકો હતા જ વિનાશને લાયક.”[1]
(૧૯) તેમણે તો તમને તમારી તમામ વાતોમાં ખોટા ઠેરવ્યા, હવે ન તો તમારામાં પોતાની સજા ફેરવી દેવાની તાકાત છે ન મદદ કરવાની તમારામાંથી જેણે જેણે જુલમ કર્યુ છે,[1] અમે તેને સખત સજાની મજા ચખાડીશું.
(૨૦) અને અમે તમારા પહેલા જેટલા પણ રસૂલ મોકલ્યા બધા ભોજન પણ કરતા હતા અને બજારોમાં હરતાં-ફરતાં પણ હતા, અને અમે તમારામાંથી પ્રત્યેકને બીજા માટે અજમાયશના સાધન બનાવી દીધા,[1] શું તમે સબ્ર કરશો ? અને તમારો રબ બધું જ જોવાવાળો છે. (ع-૨)