(૨૦) યાદ રાખો કે દુનિયાનું જીવન તો ફક્ત રમત-ગમત અને શોભા તથા પરસ્પર ગર્વ (અને અહંકાર) તેમજ માલ અને સંતાનમાં એકબીજાથી પોતાની જાતને વધુ સારી બતાવવી છે, જેમ કે વરસાદ અને તેમાંથી ઉગેલી ખેતી ખેડૂતોને[1] સારી લાગે છે, પછી તે સૂકાઈ જાય છે તો પીળા રંગની તમે તેને જુઓ છો,[2] પછી તે તદ્દન ચૂરે-ચૂરા થઈ જાય છે, અને આખિરતમાં સખત અઝાબ તથા અલ્લાહની માફી તેમજ ખુશી છે, અને દુનિયાનું જીવન તો માત્ર ધોખાના સામાન સિવાય કંઈ જ નથી.
(૨૧) (આવો) દોડો પોતાના રબની માફી તરફ અને તે જન્નત તરફ જેની પહોળાઈ આકાશ અને ધરતીની પહોળાઈ બરાબર છે આ તે લોકો માટે બનાવવામાં આવી છે જેઓ અલ્લાહ અને તેના રસૂલો પર ઈમાન રાખતા હોય, આ અલ્લાહની કૃપા છે જેને ચાહે તેને પ્રદાન કરે, અને અલ્લાહ મહાન કૃપાળુ છે.
(૨૨) ન કોઈ આફત (મુસીબત) દુનિયામાં આવે છે[1] ન ખાસ તમારી જાનો પર,[2] પરંતુ એના પહેલા કે અમે તેને પેદા કરીએ, તે એક ખાસ કિતાબમાં લખાયેલી છે,[3] બેશક આ કામ અલ્લાહ માટે ખૂબ જ સહેલુ છે.
(૨૩) જેથી તમે તમારાથી છિનવાયેલી વસ્તુથી દુઃખી ન થઈ જાઓ અને આપવામાં આવેલી વસ્તુ પર ગર્વ ન કરવા લાગો[1] અને ઈતરાવનાર અને ઘમંડ કરનારને અલ્લાહ પસંદ નથી કરતો.
(૨૪) જે (પોતે પણ) કંજૂસી કરે અને બીજાને (પણ) કંજૂસીની તાલીમ આપે, (સાંભળો) જે પણ મોઢું ફેરવે, અલ્લાહ બધાથી બેપરવાહ અને સ્વયં પ્રશંસિત છે.
(૨૫) બેશક અમે અમારા રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ આપીને મોકલ્યા અને તેમના સાથે કિતાબ અને ન્યાય (ત્રાજવા) ઉતાર્યા[1] જેથી લોકો ન્યાય પર કાયમ રહે અને અમે લોખંડને પણ ઉતાર્યું[2] જેમાં ખૂબ જ (લાભ અને) તાકાત છે અને લોકો માટે બીજા પણ ઘણા ફાયદાઓ છે,[3] અને એટલા માટે પણ કે અલ્લાહ જાણી લે કે તેની અને તેના રસૂલોની મદદ જોયા વગર કોણ કરે છે, બેશક અલ્લાહ (તઆલા) શક્તિશાળી અને સામર્થ્યવાળો છે. (ع-૩)