અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) પવિત્ર છે તે (અલ્લાહ તઆલા) જે પોતાના બંદા[1] ને રાતોરાત મસ્જિદે હરામથી મસ્જિદે અકસા[2] સુધી લઈ ગયો, જેની આસપાસ અમે બરકતો આપી રાખી છે[3] એટલા માટે કે અમે તેને અમારી કુદરતની કેટલીક નિશાનીઓ દેખાડીએ,[4] બેશક અલ્લાહ જ સારી રીતે સાંભળવાવાળો જોવાવાળો છે.
(૨) અને અમે મૂસાને ક્તિાબ આપી અને તેને ઈસરાઈલની સંતાનના માટે હિદાયત બનાવી દીધી, કે તમે મારા સિવાય કોઈ બીજાને વકીલ (કારસાજ) ન બનાવશો.
(૩) હે તે લોકોની સંતાન ! જેમને અમે નૂહ સાથે સવાર કર્યા હતા, તે અમારો શુક્રગુજાર (કૃતજ્ઞ) બંદો હતો.[1]
(૪) અને અમે ઈસરાઈલની સંતાન માટે તેમની કિતાબમાં સ્પષ્ટ નિર્ણય કરી દીધો હતો કે તમે ધરતી પર બે વખત ફસાદ પેદા કરશો અને તમે ખૂબ જુલમ કરશો.
(૫) આ બંને વચનોમાંથી પહેલાના આવતાં જ અમે તમારા સામે અમારા બંદાઓને ઊભા કરી દીધા જેઓ મોટા લડાકૂ હતા, પછી તેઓ તમારા ઘરોમાં ઘૂસીને ફેલાઈ ગયા અને અલ્લાહનું વચન પૂરું થવાનું જ હતું.
(૬) પછી અમે તેમના પર તમારું વર્ચસ્વ આપી (તમારા ધર્મ) તરફ ફેરવી દીધા અને માલ તથા સંતાન વડે તમારી મદદ કરી અને તમને મોટા જૂથવાળા કરી દીધા.
(૭) જો તમે સારા કામો કરો તો તમારા પોતાના લાભ માટે, અને જો તમે બૂરાઈ કરો તો પણ પોતાના જ માટે, પછી જ્યારે બીજા વચનનો સમય આવ્યો તો (અમે બીજા બંદાઓને મોકલી દીધા) જેથી તેઓ તમારા ચહેરા બગાડી નાખે અને અગાઉની જેમ ફરી તે જ મસ્જિદમાં ઘૂસી જાય અને જે-જે વસ્તુઓ પર કાબૂ મેળવે તેને તોડી ફોડીને જડથી ઉખાડી દે.[1]
(૮) આશા છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે. હાં, જો તમે ફરી પાછા એ જ કરવા લાગો તો અમે પણ ફરી એવું જ કરીશું, અને અમે ઈન્કાર કરનારાઓ માટે જહન્નમને કેદખાનું બનાવી રાખ્યું છે.
(૯) બેશક આ કુરઆન તે માર્ગ દેખાડે છે જે સૌથી સીધો છે, અને ઈમાનવાળા નેક લોકો જેઓ ભલાઈના કામો કરે છે, તેમને એ વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ઘણો મોટો બદલો છે.
(૧૦) અને એ લોકો જેઓ આખિરત પર યકીન નથી કરતા તેમના માટે અમે પીડાકારી સજા તૈયાર કરી રાખી છે.(ع-૧)