(૨૨) શું તે વ્યક્તિ જેની છાતી અલ્લાહ (તઆલા)એ ઈસ્લામ માટે ખોલી નાખી છે તો તે પોતાના રબ તરફથી એક પ્રકાશ પર છે,[1] અને વિનાશ છે તેમના માટે જેમના દિલ અલ્લાહની યાદથી (અસર નથી લેતા બલ્કે) સખત થઈ ગયા છે, આ લોકો સ્પષ્ટ ભટકાવમાં પડેલા છે.
(૨૩) અલ્લાહ (તઆલા)એ સૌથી શ્રેષ્ઠ વાણી ઉતારી છે, જે એવી કિતાબ છે કે પરસ્પર મલતી-જૂલતી અને વારંવાર દોહરાવવામાં આવતી આયતોની છે,[1] જેનાથી તે લોકોના શરીર ધ્રુજી ઉઠે છે જેઓ પોતાના પાલનહારનો ડર રાખે છે, છેવટે તેમના શરીર અને દિલ અલ્લાહ (તઆલા)ના સ્મરણ (ઝિક્ર) તરફ (નરમ થઈ) ઝૂકી જાય છે,[2] આ છે અલ્લાહ (તઆલા)ની હિદાયત, જેના વડે જેને ચાહે સાચા માર્ગ પર લગાવી દે છે અને જેને અલ્લાહ (તઆલા) જ માર્ગ ભૂલાવી દે તેને માર્ગ દેખાડનાર કોઈ નથી.
(૨૪) ભલા જે વ્યક્તિ કયામતના દિવસે ખૂબ ખરાબ અઝાબોની ઢાલ પોતાના મોઢાંને બનાવશે (એવા) જાલિમોને કહેવામાં આવશે કે પોતાના કરેલા કર્મોની (મજા) ચાખો.[1]
(૨૫) તેમનાથી પહેલાનાઓએ પણ જૂઠાડ્યા, પછી તેમના ઉપર ત્યાંથી અઝાબ આવી પહોંચ્યો જ્યાંથી તેમને કલ્પના પણ ન હતી.
(૨૬) અને અલ્લાહ (તઆલા)એ તેમને દુનિયાની જિંદગીમાં અપમાનની મજા ચખાડી,[1] અને હજુ આખિરતની તો ઘણી કઠોર સજા છે, કાશ! આ લોકો સમજતા.
(૨૭) ચોક્કસ અમે આ કુરઆનમાં લોકોના માટે દરેક પ્રકારના દષ્ટાંતો વર્ણન કરી દીધા છે બની શકે કે તેઓ નસીહત પ્રાપ્ત કરી લે.
(૨૮) અરબી ભાષામાં કુરઆન છે જેમાં કોઈ વિકૃતી નથી, બની શકે છે કે તેઓ સંયમ (તકવો) અપનાવી લે.[1]
(૨૯) અલ્લાહ (તઆલા) દષ્ટાંત વર્ણન કરી રહ્યો છે કે એક તે વ્યક્તિ છે જેમાં ઘણા બધા પરસ્પર મતભેદ રાખનારા ભાગીદારો છે અને બીજો તે વ્યક્તિ છે જે ફક્ત એકનો જ (ગુલામ) છે, શું આ બંને ગુણોમાં સમાન હોઈ શકે છે ?[1] તમામ પ્રશંસા અલ્લાહ (તઆલા) માટે છે. વાત એ છે કે તેમનામાંથી મોટાભાગના લોકો અજ્ઞાનીઓ છે.
(૩૦) બેશક તમારે પોતાને પણ મરવાનું છે અને આ બધાએ પણ મરવાનું છે.
(૩૧) પછી તમે બધા કયામતના દિવસે પોતાના રબ સામે ઝઘડશો.[1] (ع-૩)